જામનગર રોડ પર સુવિધાઓનું સરનામું એટલે ‘નાગેશ્વર’ વિસ્તાર
વોર્ડ નં. 1 નું બદલાતું ચિત્ર – શાંતિનગર સોસાયટીમાં રોડનું ડામર કામ જોરશોરમાં: જાગૃત કોર્પોરેટર્સ ભાનુબેન મનોહરભાઇ બાબરીયા, દુર્ગાબા જયદીપસિંહ જાડેજા, ડૉ. અલ્પેશ મોરઝરીયા અને હિરેનભાઇ ખીમાણીયાના પ્રયાસોથી નાગેશ્વર બની રહ્યું છે રાજકોટનું ‘પોષ’ લોકેશન
સૌથી મહત્વની બાબત એ છે કે, ઘર ખરીદનારાઓ જેની સૌથી વધુ ચિંતા કરતા હોય છે તે ‘પાણીની સમસ્યા’ અહીં ક્યારનીય ભૂતકાળ બની ચૂકી છે.. પ્રજાને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેતા, નાગેશ્વર વિસ્તાર હવે રહેણાંક માટે પ્રથમ પસંદગી બની રહ્યો છે
રિયલ એસ્ટેટ એક્સપર્ટ વ્યૂ: સુવિધાઓ વધતા ભાવ વધશે, ઘર ખરીદવા ઇચ્છુક પરિવારો માટે અત્યારે છે ‘રાઈટ ટાઈમ, રાઈટ પ્લેસ’
રાજકોટ શહેરનો વિકાસ હવે ચોતરફ વિસ્તરી રહ્યો છે, પરંતુ તેમાં પણ જામનગર રોડ પર આવેલો ખરા અર્થમાં ‘પાણીદાર’ નાગેશ્વર વિસ્તાર હવે જૂની સમસ્યાઓ ખંખેરીને ‘પોષ વિસ્તાર’ બનવા તરફ અગ્રેસર છે. જે ઝડપે અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, તે જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે ઘર ખરીદવા ઇચ્છુક ‘એન્ડ યુઝર્સ’ માટે અહીં રોકાણ કરવાનો આ ‘ગોલ્ડન પિરિયડ’ છે.
તાજેતરમાં જ રાજકોટ મહાનગર પાલિકા તંત્ર દ્વારા નાગેશ્વરના શાંતિનગર સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં રોડ-રસ્તાના પેવર વર્ક (ડામર કામ) ની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. એક સમય હતો જ્યારે નવા ભળેલા વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો, પરંતુ વોર્ડ નં. 1 ના પ્રજાના જાગૃત પ્રતિનિધિઓ અને કોર્પોરેટર્સ ભાનુબેન મનોહરભાઇ બાબરીયા, દુર્ગાબા જયદીપસિંહ જાડેજા, ડૉ. અલ્પેશ મોરઝરીયા અને હિરેનભાઇ ખીમાણીયાના સતત પ્રયાસો અને વિકાસલક્ષી અભિગમને કારણે ચિત્ર બદલાયું છે. આજે નાગેશ્વર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળા, ડ્રેનેજની સુવ્યવસ્થિત લાઈન અને ઉત્તમ બસ કનેક્ટિવિટી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે.
રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે, નાગેશ્વર વિસ્તાર હવે જામનગર રોડના પ્રાઈમ લેન્ડમાર્ક તરીકે સ્થાપિત થઈ રહ્યો છે. માત્ર વર્તમાન જ નહીં, નાગેશ્વરનું ભવિષ્ય પણ ‘સ્માર્ટ’ છે. મનપા દ્વારા અહીં ‘સેન્ટ્રલ ડિઝાઈનર રોડ’નું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. નાગેશ્વર મેઈન રોડ ટૂંક સમયમાં સેન્ટ્રલ ડિવાઈડર અને આધુનિક લાઈટિંગ સાથે સ્માર્ટ લુકમાં જોવા મળશે. જ્યારે આ સ્માર્ટ સુવિધાઓ પૂર્ણ થશે ત્યારે અહીંના પ્રોપર્ટી રેટ આસમાને પહોંચશે. એટલે કે, આગામી સમયમાં અહીં ભાવવધારો નિશ્ચિત છે. તેથી જે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારો રાજકોટની હદમાં, શાંતિપૂર્ણ વાતાવરણ અને ભવિષ્યના મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે પોતાનું ઘર વસાવવા માંગે છે, તેમના માટે અત્યારનો સમય શ્રેષ્ઠ છે. અત્યારે કરેલું રોકાણ ભવિષ્યમાં મોટી મૂડી બની રહેશે તે નક્કી છે.
પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ, હવે વારો સ્માર્ટ મેકઓવરનો: ડૉ. અલ્પેશ મોરઝરીયા
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં વોર્ડ નં. 1 ના જાગૃત કોર્પોરેટર ડૉ. અલ્પેશ મોરઝરીયાએ જણાવ્યું હતું કે, “રાજકોટ મનપા દ્વારા નાગેશ્વર વિસ્તારમાં રોડ પેવર વર્ક (ડામર કામ) સહિતના વિકાસકાર્યો પૂરજોશમાં છે. કોર્પોરેશનમાં ભળ્યા બાદ પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરી દેવાયો છે અને હજારો પરિવારોને પૂરતું પાણી, આરોગ્ય સેવાઓ, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઈટ મળી રહી છે. હવે અમારું લક્ષ્ય સ્માર્ટ સુવિધાઓનું છે, આ વિસ્તારને ‘બ્યુટીફાય’ કરવાનું છે. જેના ભાગરૂપે આગામી દિવસોમાં સેન્ટ્રલ ડિવાઈડર સાથેનો આધુનિક ડિઝાઈનર રોડ બનશે, જે આ વિસ્તારની શાન વધારશે.”












Leave a Reply