૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો સહમાલીકની સંમતિની બદલે નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે
ગુજરાત(Gujarat)ના ખેડૂતો માટે રાજ્ય સરકારે (government) એક વધુ રાહતભર્યો અને કૃષિ ક્ષેત્ર(agricultural)ને સશક્ત બનાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ખેતી માટે વીજ જોડાણ (electricity) મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. અત્યારસુધી જેમાં ૭/૧૨ ઉતારામાં સહમાલિકોની સંમતિ ફરજિયાત હતી, તેમાં રાજ્ય સરકારે ઐતિહાસિક ફેરફાર કર્યો છે. હવે માત્ર જમીનના માલિકના નામે નોટરાઈઝ્ડ સેલ્ફ ડિકલેરેશન રજૂ કરીને ખેતી માટે વીજ જોડાણ મેળવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂત હિતમાં આ મહત્વપૂર્ણ સુધારા મંજૂર કર્યા છે, જે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મોટી રાહત લાવશે.
પ્રવર્તમાન જોગવાઇ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ હોય તો નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર સહમાલિકનું સંમતિ પત્રક મેળવવાની રહે છે. જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેચણી કરેલ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાને કારણે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલીઓ પડતી હતી.
આથી ખેડૂતો તેમજ આદિવાસી વિસ્તારના ધારાસભ્યની રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તે મુજબ હવેથી સહમાલીકના સંમતિ પત્રકને બદલે હવેથી અરજદાર દ્વારા નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે.
એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર
આ ઉપરાંત નિયમોમાં એક નવો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ હોય તો દરેક સહમાલીકને તે સર્વે નંબર/જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે. વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ ૭/૧૨ ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ, પાણીનો સ્ત્રોત/ કુવો/ બોર અલગ હોવો જોઈએ. અરજી સાથે અરજદાર દ્વારા સંપૂર્ણ જમીનનો સહભાગીદારોની અલગ સીમાઓ તથા હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે. સહમાલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર રહેશે. આમ ધારાસભ્યો તેમજ ખેડૂતોની રજૂઆતોને ગ્રાહ્ય રાખતા રાજ્ય સરકારે ઉક્ત ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
Leave a Reply